વાદાત્મક ગદ્ય - કેટલુક માર્ગદર્શન ......
' વાદાત્મક ગદ્ય ' એટલે વાદવિવાદ કરનારું અથવા ચર્ચા કરનારું ગદ્ય લખાણ . આપેલ ગદ્યખંડમાં જે જે મુદ્દા ચર્ચાસ્પદ હોય ત્યાં તમારે દલીલો કરીને તમારું મંતવ્ય એના સમર્થન માટે રજૂ કરવાનું હોય છે .
પોતાની વાતને જ્યારે દલીલના રૂપમાં , તર્કના રૂપમાં , આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય છે ત્યારે વાદાત્મક ગદ્યનો ઉપયોગ થતો બહુધા જોવા મળે છે .
આ પ્રશ્નના ઉત્તરમાં પરીક્ષકો તમારી પાસેથી , ઓછામાં ઓછી નીચેના જેવી અપેક્ષાઓ તો રાખે જ :
વર્ણનાત્મક ગદ્યની સરખામણીમાં વાદાત્મક ગદ્ય , કોઈ એક કે એકથી વધારે મુદ્દાઓ માટે દલીલો કરતું હોય એ રીતે લખાયેલું હોવું જોઈએ .
દલીલો સીધી અથવા તર્કના રૂપમાં રજૂ કરાય છે . દલીલો માટેના મુદ્દાને સમર્થન આપવા પેટા મુદ્દાઓ અને પેટા દલીલોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ .
દલીલોનો ઉપયોગ કરતી વખતે તમારે એમ માનીને ચાલવાનું હોય છે કે આ મુદ્દાનો એક સામો પક્ષ ( વિરોધ પક્ષ અથવા વિપક્ષ ) છે અને તે પક્ષ પણ પોતાની અમુક દલીલોનું સમર્થન કરનાર છે . તેથી તેની દલીલોને તોડી નાખવા કે એનો પ્રભાવ ખંડિત કરવા તમારે મરણિયો પ્રયત્ન કરવાનો છે .
વાદાત્મક ગદ્યમાં તમે , આપેલ ગદ્યખંડને મઠારીને પુનઃ લખો ત્યારે એમાં વચ્ચે વચ્ચે , યોગ્ય વળાંકો પર , તમારે નીચેના જેવાં પદો કે શબ્દસમૂહો વાપરવા જોઈએ .
: ‘ એ વિશે બેમત નથી , ’ ‘ એમાં કોઈને શંકા નથી ; ’ ‘ એ વિશે સૌ સંમત છે ; ' ' આ તો સ્વીકાર્ય બાબત છે ' ; ' એ વિશે તો વિરોધીઓ પણ સંમત થશે ; ' ' એમાં શંકાને સ્થાન જ નથી ' , ' એની વિરુદ્ધમાં કોઈ દલીલ નથી ; ’ ‘ આનો કોઈ વિકલ્પ નથી ; ' ' એ તો દીવા જેવું સ્પષ્ટ છે ; ' ' હાથ - કંકણને આરસીની શી જરૂર ?; ’ ‘ એ તો નગ્ન સત્ય છે ' , ' એ તો એક ને એક બે જેવી વાત છે ; ’ ‘ એ તો સર્વવિદિત છે ' ; વગેરે ....
દલીલોને નકારાત્મક પ્રશ્નો રૂપે અથવા ક્યારેક સીધા પ્રશ્નો રૂપે રજૂ કરવી જોઈએ . આ પ્રશ્નો રજૂ કરતી વખતે કેટલીક બાબતો માની લીધેલી હોય એ રીતે રજૂઆત થાય એ અપેક્ષિત છે .
લખાણને અંતે તારણો અથવા સારાંશ આપવો જોઈએ અને આ તારણો ઉપર ખૂબ તર્કબદ્ધ રીતે અવાયું છે એવું કહેવા માટે , ‘ એ તો સાબિત થઈ ચૂકેલું છે ; ' ' બોલતો પુરાવો છે ; ’ ‘ પુરાવાની કોઈ જરૂર નથી ’ , એવા શબ્દપ્રયોગો વાપરવા .
બે વિરોધી લાગતા વિચારોને રજૂ કરતાં વાક્યો સાથે સાથે મૂકવાનાં હોય ત્યારે તેમને વચ્ચે ' છતાં ' , ' તો પણ ' , ' પરંતુ ' , ' ઉપરાંત ' જેવાં સંયોજકો વાપરવાં જોઈએ અને એ રીતે તમારી દલીલ પર ખાસ ભાર મૂકવો જોઈએ .
ક્યારેક સરખામણીઓ , દષ્ટાંતો , ભૂતકાળના અનુભવો વગેરેનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ...
No comments:
Post a Comment